હાલ રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે સરકાર કેટલાક પ્રતિબંધો ફરી લગાવી રહી છે. હોળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સરકારે હોળીના પર્વની ઉજવણી અંગે કેટલીક મહત્વની જાહેરાત કરી છે.


કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં સાવધાનીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કેટલાક પગલા લેવાઇ રહ્યાં છે. આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હોળીની ઉજવણી અંગે જાહેરાત કરતા કેટલીક સ્પષ્ટતા કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ આજે હોળી પર્વની ઉજવણી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મહામારીના સમયમાં લોકોના એકઠા થવાથી સંક્રમણ વધે છે. ત્યારે આ વર્ષે હોળી પર્વમાં હોળી પ્રગટાવવાની મંજૂરી મળશે પરંતુ ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.


આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા  હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે..


ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ફરી કોરોનાની મહામારીએ માથું ઉંચક્યું છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે. 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,  રાજકોટમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4443 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565   કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.