અમદાવાદ-વડોદરા-સુરત-ભરૂચમાં આ કાયદાનો ભંગ કર્યો તો 5 વર્ષની જેલ ને ઓછામાં ઓછો 1 લાખ દંડ થશે...
abpasmita.in | 04 Jul 2019 10:56 AM (IST)
સામાન્ય રીતરિવાજો, ધર્મ, મુલ્યો અથવા ઓળખ ધરવાતા ચોક્કસ ભૌગોલિક વિસ્તારોના રહેવાસીઓના અધિકારોના રક્ષણાર્થે ફોજદારી કાર્યવાહી અનિવાર્ય છે.
ગાંધીનગરઃ અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ જેવા શહેરોના કોમી હુલ્લડગ્રસ્ત વિસ્તારોમાં અશાંત ધારાનો ભંગ કરનારને 5 વર્ષની કેદની સજા કરાશે. આ ઉપરાંત ગુજરાત સરકારે મૂળ કાયદામાં ફેરફાર કરીને આ કાયદાનો ભંગ કરવાના અપરાધને દિવાનીમાંથી ફોજદારી સ્વરૂપ આપવા નિર્ણય કર્યો છે. ધ ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમુવેબલ પ્રોપર્ટીઝ એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ પ્રિમાઈસિસ ઈન ડિર્સ્ટબ્ડ એરિયા એક્ટ- 1991 અર્થાંત અશાંત ધારામાં ફેરફાર સાથે તૈયાર વિધેયકને સર્ક્યુલરથી કેબિનેટે મંજૂરી આપી છે. આગામી દિવસોમાં વિધાનસભાની મંજૂરી અર્થે તેને ગૃહ સમક્ષ રજૂ કરશે. સુધારેલા કાયદા પ્રમાણે જેલવાસ ઉપરાંત તબદિલ થયેલી મિલકતની કિંમતના 10 ટકા અથવા રૂપિયા એક લાખ એ બેમાંથી જે વધુ હોય તે દંડરૂપે વસૂલવા પ્રસ્તાવ છે. ટોચના સુત્રોએ કહ્યું કે, સામાન્ય રીતરિવાજો, ધર્મ, મુલ્યો અથવા ઓળખ ધરવાતા ચોક્કસ ભૌગોલિક વિસ્તારોના રહેવાસીઓના અધિકારોના રક્ષણાર્થે ફોજદારી કાર્યવાહી અનિવાર્ય છે. આ અશાંત ધારાના વિસ્તારોમાં મિલકતોની વેચાણ- તબદિલી માટે કલેક્ટરની તપાસને વિશાળ બનાવાશે.