દ્વારકાઃ મેઘરાજાએ દ્વારકા જિલ્લાના બેરાજા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી કરી છે. ભારે વરસાદને પગલે બેરાજા ગામની વેદમતી નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પાણીમાંથી રસ્તો પસાર કરવા જતાં ઊંટ તણાયો હતો. ધસમસતા પૂરમાં પુલ પરથી પસાર થતો ઊંટ તણાયો છે. વેદમતી નદીમાં ધસમસતા પૂરમાં ઊંટ તણાયાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. લોકોની નજર સામે જ ઊંટ પાણીમાં તણાઇ ગયો હતો.




ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ગામની નદીઓમાં ધસમસતા પુર આવી ગયા હતા. મેઘરાજાએ તોફાની બેટિંગથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. આગામી ત્રણ દિવસ એટલે આજથી ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.



હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દાહોદ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલ એટલે 30 ઓગસ્ટે સુરત, નવસારીમાં આતિભારે વરસાદની આગાહી તો આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા.