અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં યોજાયેલી દરેક રાજ્યોના નાણાંમંત્રીની પ્રિ-બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક રાજ્યના નાણાં મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નીતિન પટેલે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત દારૂબંધીને કારણે થતી કરોડો રૂપિયાની આર્થિક ખોટની ભરપાઈ કરવાની માંગણી કરી હતી.

આ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોવાથી તે રાજ્યોને એક્સાઈઝ અને અન્ય ટેક્સની હજારો કરોડની આવક મલી રહી છે. જોકે તમામ ટેક્સોની હજારો કરોડોની આવક ગુજરાતને મળતી નથી. જેના કારણે ગુજરાતને નુકશાન થઈ રહ્યું છે.

બંધારણના આર્ટીકલ 47ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થઈ રહ્યો છે તે ભરપાઈ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્ય સરકારે રૂપિયા 9,864 કરોડ વળતર પેટે આપવાની માંગ કરી હતી.

આ ઉપરાંત નીતિન પટેલે અંતે કહ્યું હતું કે, ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના સરળ બનાવવી જોઈએ અને જે ખેડૂતો પાક વીમો લેવા માંગતા હોય તેને જ લાભાર્થી બનાવવા જોઈએ. પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઈએ.