સુરેન્દ્રનગરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ હવે પૂર્વ કલેક્ટર પર ઇડીએ સિકંજો કસ્યો છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઇડીની ટીમે ધરપકડ કરી લીધી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના ગાંધીનગર નિવાસસ્થાનેથી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે રાત્રિ દરમિયાન ઇડીની ત્રણ ટીમો રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, તેમને પુછપરછ શરૂ કરી અને બાદમાં ધરપકડ કરી લીધી હતી. રાજેન્દ્ર પટેલની સાથે સાથે ઇડીએ કલેક્ટર ઓફિસ સાથે જોડાયેલા અધિકારીઓની પણ પુછપરછ કરી હતી. 

Continues below advertisement

1500 કરોડના જમીન કૌભાંડ મામલે આ પહેલા ઇડીએ નાયબ મામલતદાર ચંદ્રસિહ મોરીની ધરપકડ કરીને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હવે તેમને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કરાયો છે. આ સમગ્ર કેસમાં 24 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જાહેર કર્યા હતા. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકને કલેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ડૉ. રાજેન્દ્ર પટેલ (2015 બેચના IAS અધિકારી) ફેબ્રુઆરી 2025થી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. EDએ તેમના નિવાસસ્થાને અને કલેક્ટર કચેરી સંલગ્ન અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરી હતી. આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઉપરાંત ગુજરાત ACBએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, તેમના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા અને અન્ય એક વ્યક્તિ સામે ભ્રષ્ટાચારની FIR નોંધી છે.

Continues below advertisement