Election Live Update: કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની કમલમ ઘેરાવની ચીમકી, 200થી વધુ પોલીસ જવાનો તૈનાત

Election Live Update:રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે

gujarati.abplive.com Last Updated: 09 Apr 2024 02:34 PM
બનાસકાંઠામાં ઉમેદવારોની ઉમેદવારીની તારીખ થઈ નક્કી

બનાસકાંઠામાં ઉમેદવારોની ઉમેદવારીની તારીખ નક્કી થઇ છે. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ભરશે ફોર્મ તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે.  શક્તિ પ્રદર્શન સાથે બંને ઉમેદવારો ઉમેદવારૂ નોંધાવશે.


 

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. નવસારીથી ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. અલથાણમાં યોજાયેલ કાર્યક્રમમાં મતદારોને પાટીલે આમંત્રણ આપ્યું હતું. 18 એપ્રિલે સવારે નવ વાગ્યે નવસારી પહોંચવાનું પાટીલે આમંત્રણ આપ્યું છે. 18 એપ્રિલે બપોરે 12 વાગ્યે પાટીલ ઉમેદવારી પત્ર ભરશે.

કરણી સેનાના રાજ શેખાવત નજર કેદ કરાયાના અહેવાલ

કરણી સેનાના રાજ શેખાવત નજર કેદ કરાયાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જ શેખાવતને ઘેરી લેવાયા હતા. રાજ શેખાવતે કહ્યું હતું કે અમારી રજૂઆત કરવા અમે કમલમ જઈશુ. બપોરે બે વાગ્યે અમે કમલમ પહોંચીશું. પ્રશાસનને વિનંતી છે કે રસ્તો સાફ કરી આપે.

લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે

પોરબંદર લોકસભા બેઠક કૉંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર એવા લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. ધોરાજી,ઉપલેટા સહિતના લોકસભાક્ષેત્રમાં આવતા વિસ્તારોના કાર્યકર્તાઓ અને નેતાઓની ઉપસ્થિતમાં શક્તિપ્રદર્શન કરી વસોયા ઉમેદવારી નોંધાવવા પોરબંદર કલેક્ટર કચેરી પર પહોંચશે. વસોયાની ઉમેદવારી સમયે ધારાસભ્ય એવા કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર કૉંગ્રેસના અનેક નેતાઓને આ સમયે સાથે રાખવાનું પણ વસોયાએ આયોજન કરેલું છે. ભાજપના જાહેર થયેલા ઉમેદવાર એવા મનસુખ માંડવીયાની જેમ જ વસોયાએ પણ અગાઉથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દીધુ છે.

વિવાદનો ઉકેલ લાવવા રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ મેદાને ઉતાર્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે

એક તરફ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીની તારીખ નજીક આવી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો આક્રોશ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં વિવાદનો ઉકેલ લાવવા રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ મેદાને ઉતાર્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે ઉપસ્થિત રહેલા માંધાતાસિંહે આજે પત્રકાર પરિષદ કરી હતી. પોતે સમાજની સાથે હોવાનો દાવો કરવાની સાથેસાથે માંધાતાસિંહે રાષ્ટ્રહિતમાં ઉકેલનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવા કે નહીં તેનો સ્પષ્ટ જવાબ ન આપી શકનાર માંધાતાસિંહે સમાજની સાથે રહીને યોગ્ય ઉકેલની આશા વ્યક્ત કરી છે.

200 પોલીસ કર્મચારીઓની ટીમને સવારથી જ કમલમ બહાર તૈનાત કરી દેવાયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા પરશોત્તમ રૂપાલાના નિવેદનથી સર્જાયેલી સ્થિતિ અને ક્ષત્રિયોના વિરોધની વચ્ચે કરણી સેનાના રાજ શેખાવતના આહ્વાનથી ગૃહ વિભાગ સતર્કતા વધારી છે.  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના ઘેરાવના રાજ શેખાવતના આહ્વાનને લઈ કમલમ અનેઆસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે. એક ડીવાયએસપી,પીઆઈ સહિતના અધિકારીઓને 200 પોલીસ કર્મચારીઓની ટીમને સવારથી જ કમલમ બહાર તૈનાત કરી દેવાયા છે. ઠેકઠેકાણે બેરીકેડ્સ લગાવવાની સાથેસાથે વોટર કેનન સહિતના ઉપકરણો સાથે પોલીસની ટીમ તૈનાત થઈ ચુકી છે.

રાજકોટ બેઠકથી પરેશ ધાનાણી કૉંગ્રેસ ઉમેદવાર બને તેવા સંકેત મળી રહ્યા છે

રાજકોટ બેઠકથી પરેશ ધાનાણી કૉંગ્રેસ ઉમેદવાર બને તેવા સંકેત મળી રહ્યા છે. ધાનાણીને સમજાવવાના પ્રયાસ હવે અંતિમ તબક્કામાં છે. રાજકોટ બેઠક પરહાલ ઉભી થયેલ સ્થિતિને ધ્યાને રાખીને ધાનાણીને ચૂંટણી લડવા માટે તૈયાર કરાયા છે. ધાનાણીને મનાવવા રાજકોટ શહેર કૉંગ્રેસના અગ્રણીઓ અમરેલી જવા માટે રવાના થયા છે. રાજકોટ શહેર કૉંગ્રેસના અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, જશવંતસિંહ ભટ્ટી સહિતના 50 આગેવાનો અમરેલી જવા રવાના થયા છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને કૉંગ્રેસે રણનીતિ બદલી છે. ધાનાણીએ પણ હવે રૂપાલા વિરૂદ્ધ આક્રમ નિવેદન આપી ચૂંટણી લડવા સંકેત આપ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર કડવા પાટીદાર જેટલા જ લેઉવા પાટીદાર મતદાતા હોવાથી ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024: રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે, ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરી દેવી જોઇએ, નહીં તો ચૂંટણી સમયે હજુ વધુ ઉગ્ર આંદોલન અને આક્રોશ જોવા મળશે. રૂપાલા વિવાદનો લાભ લેવા માટે હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ હવે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકે છે. આ માટે હાલમાં પાર્ટીએ પ્રયાસો તેજ કરી દીધા છે.  


રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે. અત્યારે રૂપાલા વિવાદને લઇને ભાજપ અને કોંગ્રેસ સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે કોંગ્રેસ આ વિવાદનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. 


હવે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર બને તેવા સંકેતો મળી રહ્યાં છે. સુત્રો અનુસાર, હાલમાં પરેશ ધાનાણીને સમજાવવાના કોંગ્રેસ પાર્ટી અને નેતાઓના પ્રયાસ અંતિમ તબક્કામાં છે. અત્યારે ઉભી થયેલી સ્થિતિને ધ્યાને રાખીને પરેશ ધાનાણી તૈયાર કરાયા છે. ધાનાણીને મનાવવા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજે અમરેલી રવાના થયા છે, 50થી વધુ આગેવાનો ધાનાણીને મનાવવા અમરેલી રવાના થયા છે. જેમાં અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, જશવંતસિંહ ભાટ્ટી સહિતાના સીનિયરો સામેલ છે. ખાસ વાત છે કે, રાજકોટ બેઠક પર ભાજપના કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારને ઉતારવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહ્યું છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનની લઈ કોંગ્રેસે હવે રણનીતિ બદલી છે. આ પહેલા પણ આ વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ પણ રૂપાલા વિરૂદ્ધ આક્રમક નિવેદન આપીને સંકેત આપ્યા હતા. અત્યારે રાજકોટ બેઠક પર કડવા પાટીદાર જેટલા જ લેઉવા પાટીદાર મતદારો છે, જેનો લાભ લેવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 


ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ભરશે ઉમેદવારી પત્ર, તારીખ ફાળવવા કાલે યોજાશે બેઠક


લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારો બે તબક્કામાં  ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના 26 ઉમેદવારોને તારીખ ફાળવવા માટે આવતી કાલે એક મહત્વની   બેઠક  યોજાવા જઇ રહી છે. રામનવમી અગાઉ અને રામનવમી બાદ બે તબક્કામાં  ઉમેદવારી પત્ર ભરાશે.ઉમેદવારના ચૂંટણી ખર્ચ બચાવવા ભાજપની એક નવો નિયમ લાદ્યો છે. ઉમેદવારોને ફોર્મ ભરવા જતા સમયે  રોડ શો ન યોજવાની તાકીદ અપાઇ છે.  


તો બીજી તરફ ભાજપના નેતા બિરેન્દ્ર સિંહ પૂર્વ ધારાસભ્યો સાથે આજે દિલ્હીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.કોંગ્રેસના ઘોષણાપત્ર પર ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે કોંગ્રેસના ઢંઢેરાએ દેશની જનતાને સ્તબ્ધ કરી દીધી છે, કારણ કે કોંગ્રેસના ઢંઢેરામાં સમગ્ર મુસ્લિમ લીગનો પડછાયો છે.તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે ત્યારે લોકોની નજર હવે બાકીની 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો પર છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના કારણે આ બેઠકો માટે ઉમેદવારોની યાદીને લઇને મુઝવણો છે.એવું માનવામાં આવે છે કે ભાજપના બાકીના તમામ ઉમેદવારોની યાદી રામનવમી પછી જ જાહેર કરવામાં આવશે. ભાજપ નેતૃત્વ એકસાથે બાકીની તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવા માંગે છે. પરંતુ, કૈસરગંજ સીટને લઈને દુવિધા છે.


આ બેઠક પરથી સાંસદ બ્રિજ ભૂષણ કોઈપણ ભોગે ચૂંટણી લડવા મક્કમ છે. પરંતુ, મહિલા કુસ્તીબાજો સાથેના વિવાદને ધ્યાનમાં રાખીને, પાર્ટી નેતૃત્વ તેમના સ્થાને તેમના પરિવારના સભ્ય દ્વારા અથવા તેમના સૂચન પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજેપી નેતૃત્વ માને છે કે જો બ્રિજ ભૂષણને ટિકિટ આપવામાં આવશે તો વિપક્ષને મુદ્દો મળી જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજ ભૂષણની જિદ્દને જોતા ભાજપ નેતૃત્વ હવે સાંસદ-ધારાસભ્ય કોર્ટ દિલ્હીના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. બ્રિજ ભૂષણના એક કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. શક્ય છે કે તે જ દિવસે નિર્ણય પણ આવી શકે. તેથી નેતૃત્વએ નિર્ણય લીધો છે કે, કોર્ટના નિર્ણય બાદ જ તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.