GUJARAT : 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં વિવિધ ત્રણ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત  થયા છે. દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4 અને ખેડામાં 2 બાળકો ડૂબ્યા છે. 


ખેડામાં બે બાળકો ડૂબ્યા 


ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની   પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.


મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત 


એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે. 


ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં  છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


 


મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં  છે.