બનાસકાંઠા: પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની  સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ  સજા અને દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવી છે.


શું હતો મામલો?


1996માં  પાલનપુર લાજવંતી હોટેલમાંની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવીને રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. પોલીસને એવી બાતમી મળી હતી કે  પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવવાનો છે. આ બાતમીને આધારે પોલીસે રેડ પાડીને  એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. જો કે તેમના પર આરોપ હતો કે. તેમણે વકીલને ફસાવવા માટે અહીં ડ્રગ્સ મૂકાવ્યું હતું.   5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે અટકાયત કરી હતી. સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા.


કોણ છે સંજય ભટ્ટ?


આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015 માં, તેમને 'અનધિકૃત ગેરહાજરી' માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.સંજય ભટ્ટનો વિવાદ સાથે બહુ જુનો નાતો રહ્યો છે.સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.