Panchmahal News: હાલોલ પાલિકાના માજી પ્રમુખ સુભાષ પરમારની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. હાલોલ પોલીસે તેમની ધરપકડ કરી છે. શિવાશિષ પાર્ક સોસાયટી મામલે તેમની સામે 17-12-23 નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી. સોસાયટીની તેમના ભાગીદારના હિસ્સાની મિલ્કત વેચી મારી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. 17 જેટલી પ્લોટ મિલકતના સોદા બાબતે નોંધાયેલી ફરિયાદ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. સુભાષ પરમારનો ગુન્હાહિત ઇતિહાસ છે. તેમની સામે હાલોલ શહેર, નડિયાદ સહિત છેતરપિંડી, વિશ્વાસઘાતના ચાર ગુના નોંધાયા છે.


કયા મામલે થઈ ધરપકડ


હાલોલની વિવાદિત બહુચર્ચિત શિવાશિષ પાર્કમાં ભાડાની દુકાનમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી મહિલા રાનીબેન ગુરદીપસિંગ જટને સુભાષ પરમાર અને કમલેશ પટેલે પોતે શિવાશિષ પાર્કના રવિ કન્સ્ટ્રક્શન ડેવલોપર્સના માલિક કે દુકાન વેચાણ કરવાના પાવર ન હોવા છતાં મહિલાને વિશ્વાસમાં લઇ રૂા. 13 લાખમાં દુકાન વેચ્યાનો મૌખિક કરાર કરી આપી મહિલા પાસેથી રૂા.11.70 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી. આથી પીડિત મહિલાએ હાલોલ શહેર પોલીસ મથકમાં સુભાષ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે.


આ ઉપરાંત હાલોલ પાવાગઢ બાયપાસ જાંબુડી સર્વે નં 9 જેનો સત્તા પ્રકાર 73-AA નવી અને અવિભાજ્ય શરતની જમીન મૃતક જામલીબેન વેસતાભાઈ નાયકના નામે ચાલતી હતી. હાલોલના પૂર્વ પાલિકા પ્રમુખ સુભાષ પરમાર અને તેનો પુત્ર પાલિકા વોર્ડ 5નો પૂર્વ સભ્ય ચિરાગ પરમારે સત્તાનો દૂર ઉપયોગ કરી 73-AAની મુળ જમીન માલીક મૃતક જામલીબેન પરસ્પર જાતિ સિવાય જમીન વેચાણ ગીરો ભાડે તેમજ જમીનમાં કોમર્શિયલ બાંધકામ ન કરી શકાય જે સરકારના નીતિ નિયમો વિરુદ્ધ હોવાનું જાણતા હતાં. આ જમીન પાવાગઢથી વડોદરા અને ગોધરા તરફ જતા હાલોલ બાયપાસ પર જાંબુડીના રેવન્યુ સર્વે નં. 9 ની 73AA પ્રકારની છે. ત્રણ હેક્ટર જેટલી (2.89.98 હેક્ટર. ચોરસ મીટર) આ જમીનની માલિકી નાયક જામલીબેન વેસ્તાભાઈના નામની છે. વૃદ્ઘા જામલીબેનને વારસદારમાં કોઇ નહોતું. જેથી આ જમીન જામલીબેનના ભત્રીજા કેસરીસિંહને વસિયત કરી અપાઇ હતી. પરંતુ કેશરીસિંહનું પણ મોત થયું અને તેમની પાછળ પણ કોઇ વારસદાર નહોતું. તેમજ આ જમીન પર ભાજપ નેતા સુભાષ પરમાર કબજો ધરાવતા હતા અને તેનો વહિવટ કરતા હતાં. જેની સામે મૂળ જમીન માલિક એવા આદિવાસી પરિવારને પણ કોઇ વાંધો નહોતો એટલું બધું ચાલ્યા કર્યું. બીજી તરફ સુભાષ પરમાર આ જમીન પર કબજો ધરાવતા હોવાથી આ જમીનનો ઉપયોગ કરતા રહ્યા.