Gujarat Heatwave Deaths: રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતમાં  10 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે. આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ. જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા તો બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો ગરમીથી મોત નથી.


સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું.


સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે.


મૃતકોની યાદી



  • પાંડેસરા: સુશાંત શેટ્ટી (45)ને હીટસ્ટ્રોક બાદ ખેંચ આવતા સિવિલ ખસેડાયા બાદ મોત.

  • પરવટ: મંગા રાઠોડ (50) ઘરે ખેંચ આવી બેભાન થતાં સ્મીમેર ખસેડાયા, જ્યાં મૃત જાહેર કરાયા હતા.

  • ગોપીપુરા મોમનાવાડ: કિશનસિંગ વિશ્વકર્મા (40) દુકાનના ઓટલા પર બેભાન. સિવિલમાં મૃત જાહેર.

  • વરાછા ટાંકલી ફળિયા: 50 વર્ષીય અજાણ્યા આધેડ બેભાન હાલતમાં સ્મીમેર ખસેડાતાં મૃત જાહેર .

  • હજીરા મોરા ટેકરા: સુદર્શન યાદવ (45) એલ એન્ડ ટીમાંથી જતા ગેટ નં.3 પાસે બેભાન, સિવિલમાં મોત

  • સચિન : ચેતન પરાડ (39) સવારે નહીં ઉઠતાં સિવિલ ખસેડાયા, જ્યાં મૃત જાહેર કરાયા હતા.

  • રાંદેર: વિજય પાટીલ (40) રાત્રે ગભરામણ બાદ બેભાન થતા સિવિલ ખસેડાયા, જ્યાં મૃત જાહેર.

  • પાંડેસરા અંબિકા નગર: 30 વર્ષીય અજાણ્યો યુવક રાત્રે બેભાન થતા સિવિલ ખસેડાયો, સવારે મોત.

  • વેસુ આવાસ: અનિલ ગોડસે (38) રાત્રે બેભાન હાલતમાં સિવિલ ખસેડાતાં મૃત જાહેર કરાયો

  • અશ્વનિકુમાર મોદી મહોલ્લા: મુકેશ પંડિત (45) ઘરે ગભરામણ બાદ બેભાન, સ્મીમેરમાં મૃત જાહેર.


વડોદરામાં ડિહાઈડ્રેશનથી મોત


વડોદરામાં ડિહાઇડ્રેશન ગભરામણ બેભાન થવા સાથે હૃદય રોગના હુમલાથી વધુ ત્રણના મોત થયા છે. અત્યાર સુધીનો મૃત્યુ આંક 19 ઉપર પહોંચ્યો છે. પાલિકાના નિવૃત્ત કર્મચારીનું પણ મોત થયું છે. વીઆઈપી રોડ નારાયણ સોસાયટીમાં 77 વર્ષીય કિસાન રાવને ડીહાઇડ્રેશન અને લુ લાગવાથી તબિયત લથડી હતી સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં ડોક્ટરે મૃત ઘોષિત કર્યા છે.


બીજા બનાવવામાં વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા 39 વર્ષીય જગદીશ પટેલ બાપોદ જકાતનાકા પાસે આવેલી વંદના વિદ્યાલય શાળાની લોબીમા સુઈ ગયા હતા ગભરામણના કારણે તેમનું મોત નીપજ્યું હતું.


ત્રીજા બનાવમાં માંજલપુરના 62 વર્ષીય કરસનભાઈ પરમારને અગાઉ બાયપાસ સર્જરી કરી હતી છેલ્લા સાત દિવસની અસહ્ય ગરમીમાં કરસનભાઈ ને લોહીની વોમીટીંગ થવા લાગી હતી હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું છે.