બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું હતું. પરંતુ અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જિલ્લામાં માત્ર 25 ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જિલ્લામાં સૌથી ઓછો લાખણી અને થરાદ પંથકમાં માત્ર 7થી 10 ટકા જ વરસાદ વરસ્યો છે. ત્યારે અંહિયાના ખેડૂતોની માગ છે કે ફરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે.


અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે પાણીની જાહેરાત


વરસાદ ખેંચાતા ખેડૂતો પર ઘેરાયા છે સંકટના વાદળ. ત્યારે રાજ્ય સરકારે સિંચાઈના પાણીને મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. આ પાણી અપાશે કડાણા ડેમ અને નર્મદા કેનાલમાંથી છોડવામાં આવશે. ડાંગરના ધરુને બચાવવા સરકાર 6 હજાર ક્યૂસેક પાણી છોડશે. જેમાંથી 3 હજાર ક્યૂસેક પાણી કડાણા ડેમમાંથી છોડાશે. જ્યારે બાકીનું 3 હજાર ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાંથી અપાશે. આગામી બે દિવસમાં સિંચાઈ માટે અન્નદાતાને પાણી અપાશે.


રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા


વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઉભુ થયુ છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. પ્રથમ વરસાદ પૂર્વે જે રીતે સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગણી કરવામાં આવી હતી તે રીતે ફરી 15 ઓગષ્ટ બાદ નવેસરથી પાણી માગવાની સ્થિતિ ઉભી થઇ શકે.


સરકારે આજી અને ન્યારી ડેમમાં તાજેતરમાં સૌનીનું પાણી ઠાલવ્યું હતું. પરંતુ ડેમોમાં આવક શરૂ થતા આ પાણી બંધ કરી દેવાયું. હવે વરસાદ પણ ન આવતા ફરી મહિના પહેલાની સ્થિતિમાં જળાશયો આવી ગયા. આજી ડેમમાં 350 MCFT જળજથ્થો છે. જે 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેમ છે. ન્યારી-1 ડેમનો 615 MCFT જથ્થો 15 નવેમ્બર સુધી અને ભાદર-1નો 1 હજાર 576 MCFT જથ્થો જે 30 નવેમ્બર સુધી રાજકોટને કામ આવે તેમ છે. ભાદરમાંથી રોજ 45 MLD, આજી-ન્યારીમાંથી 5-5 MCFT પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટમાં રોજ 340 MLDથી વધુ પાણીનું વિતરણ કરવામાં આવે છે.