Amreli : હવામાન  દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલીમાં વીજળી પાડવાની ઘટના બની છે, અને આ ઘટનામાં એક માછીમારનું મોત થયું છે. વીજળી પડવાની આ ઘટના પીપાવાવ લોજીકપાર્ક નજીક પાણીની ખાડીમાં પડી હતી. વીજળી પડવા  સમયે 35 વર્ષીય મજૂર માછીમારી કરતો હતો. તે દરમિયાન તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ માછીમારના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભર ઉનાળે પીપાવાવ દરિયાઈ કાંઠે વીજળી પડવાની ઘટના બની છે. 


બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો
બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈ કાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સુરતના અઠવાલાઇન્સ, પારલે પોઇન્ટ,પીપલોદ, પાલ, અડાજણ,યુનિવર્સિટી રોડ સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. 


વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદને લઈ શાકભાજી અને કેરીના પાકને ભારે નુકસાનની ભિતી સેવાઇ રહી છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત. નવસારી શહેર જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા.  કેરી, લીંબુ, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડયો.


ભાવનગર જિલ્લામાં બે દિવસ માવઠાંની આગાહીને પગલેે વાતાવરણમાં પલટો આવ્યો. મોડી રાત્રીના સમયે અને વહેલી સવારે કમોસમી વરસાદ શહેર અને જિલ્લામાં થયો છે. ભર ઉનાળે અષાઢી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું. ઉનાળામાં માવઠાંની આગાહી અને આજે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને પાકના નુકશાની જવાની ભીતિ ઉભી કરી દીધી છે. માવઠાના કારણે ઊભો પાક અને બાગાયતી પાકને પુષ્કળ પ્રમાણમાં ભાવનગર જિલ્લામાં નુકસાન થશે.