અમદાવાદમાં કોરોનાનું ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સતત આઠમાં દિવસે અમદાવાદમાં કોરોનાના 300થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદામં છેલ્લા 24 કલાકમાં 325 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા.


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 1972 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. ધોળકા અને સાણંદ કોરોના માટે હોટસ્પોટ બન્યું છે.

અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 28 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ધોળકામાં 10 પોઝિટીવ કેસ નોંધાયા હતા. સાણંદ અને વિરમગામમાં પાંચ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે દસક્રોઈમાં ત્રણ, દેત્રોજ અને ધંધુકામાંથી બે બે પોઝિટીવ કેસ નોંધાયા.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.