તાપી: રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ એકઠી કરનારા પૂર્વ મંત્રી કાંતિ ગામિતના જામીન મંજરૂ કરવામાં આવ્યા છે. તાપી સેશન્સ કોર્ટે પૂર્વ મંત્રી ગામીત સહિત 19 લોકોના જામીન મંજૂર કર્યા છે.


સરકાર તરફ સ્પેશિયલ પી પી તરીકે આવેલા નયન સુખડવાલાએ ચુકાદા ને આવકાર્યો, ચુકાદાને બેલેન્સ ગણાવી અપીલમાં ન જવા માટે જણાવ્યું છે. બચાવ પક્ષે 308 ની કલમ પાછળથી દાખલ થઈ હોવાના કારણે કલમ રદ કરવા માટે પીટીશન દાખલ કરી છે.

હાલ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે લગ્નપ્રસંગમાં 100 લોકોને છૂટ આપી છે. તેમજ ફક્ત લગ્નની જ છૂટ છે, એ સિવાયના કાર્યક્રમોને મંજૂરી નથી. આમ છતાં ભાજપના નેતાએ ખાલી સગાઈમાં જ દોઢથી બે હજાર લોકોને નોતર્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેમની ધારણા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી.

સગાઈ પ્રસંગે રાખવામાં આવેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સામાજિક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા.