ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાના નિધન સાથે કોંગ્રેસે ભાજપની લહેરો સામે અડીખમ રહીને લાંબા સમયથી ચૂંટાતા ધારાસભ્યને ગુમાવ્યા છે. ડો. 2002થી 2017 સુધી સતત ટાર ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.  


ડો. જોશીયારા 1995માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે ભાજપ છોડી જનારા ડો. જોશીયારા 1998માં વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની ટિકિટ પર ભિલોડામાંથી હારી ગયા હતા. આરજેપીના કોંગ્રેસમાં વિલિનીકરણ પછી ડો. જોશીયારાએ પાછું વળીને જોયું નહીં ને ફરી કદી ના હાર્યા.


ડો. જોશીયારાની આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે. અનિલ જોશીયારાનો જન્મ 24 એપ્રિલ 1952 ના રોજ થયો હતો.  ડો. જોશીયારાએ MBBS ભણ્યા પછી MSની ડીગ્રી મેળવી હતી. 1995થી 1996 દરમ્યાન આદિજાતિ વિકાસ મંત્રીની જવાબદારી સંભાળનારા ડો. જોશીયારા 1997થી 98 દરમ્યાન રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી હતા.  


સાબર યુવા વિકાસના સભ્ય રહેલા ડો. જોશીયારા 10 વર્ષ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહ્યા હતા. તેમણે 1984થી 94 સુધી સુપરિટેન્ડ અને સિવિલ સર્જન તરીકે સેવા આપી હતી. કુટુંબ નિયોજનમાં 10 વર્ષ સુધી સેવા આપી હતી અને
લાયન્સ કલબ સાથે જોડાઈ વર્ષો સુધી ગરીબોની સેવા કરી હતી. ડુંગરી ગરાસિયા સેવા સમાજના હોદ્દેદાર પણ રહ્યા હતા.


ચેન્નાઇથી ડો. જોશીયારાના મૃતદેહને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવીને ભિલોડા લઈ જવામાં આવ્યો હતો. ભિલોડા ખાતે ડો. અનિલ જોશીયારાની અંતિમ વિધિ પહેલાં મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને રાખવામાં આવ્યો હતો. બપોરે  12 વાગ્યા આસપાસ અંતિમક્રિયા કરવામાં આવશે.


કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અંતિમ દર્શને જવા રવાના થયા છે. ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. કોરોનાના કારણે ચેન્નાઇ ખાતે સારવાર લઈ રહેલા ડો. જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું હતું.