અમદાવાદઃ સાબરકાંઠાના ઇડરનાં બજાર આજથી એક સપ્તાહ માટે સ્વયંભુ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા ઈડરના વેપારી એસોસિએશનની બેઠકમાં આજથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3419 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે, જ્યારે 113140 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16574 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 133219 પર પહોંચી છે.

ગઈકાલે થયેલા કુલ 10 લોકોના મોતમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1231 દર્દી સાજા થયા હતા અને 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,32,408 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.93 ટકા છે.