રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર આજે વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઇઓ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. સી.આર.પાટીલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. વિજયોત્સવ નિમિતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના ભાજપના નેતાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનપાની ચૂંટણીમાં જીત બદલ તમામ પ્રજાજનો તેમજ કાર્યકરોનો આભાર માન્યો.


ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે. સભામાં હાજર લોકોને પાટીલે નમન કર્યું હતું.

સી. આર. પાટીલે કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું કે, ભાજપના તમામ કાર્યકરોને વંદન સાથે અભિનંદન, 168નો ટાર્ગેટ હતું પણ ઓછો પડ્યો. હવે ક્યાં નબળું પાસુ રહ્યું તે શોધીને તેની પર હવે કામ કરવું જોઈએ.

રાજકોટમાં 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. વર્ષ 2015નો 142 બેઠકોનો રેકોર્ડ તૂટ્યો છે. જે ઉમેદવારો સક્ષમ હતાં તેમણે જીત મેળવી છે. કેટલાક ઉમેદવારો કેમ હાર્યા તેના પર મંથન થશે.

સી.આર પાટિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘જનતા હંમેશા ભાજપની સાથે જ છે. ભાજપ વર્ષોથી સત્તામાં હોવા છતાં અહીં એન્ટી ઇન્કમબન્સી જેવું કંઇ જ નથી. જીતેલા ઉમેદવારોએ હવે આભાર દર્શન શરૂ કરવું જોઈએ. આવતી કાલથી જ મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે.’ આ સાથે જ તેમણે કોંગ્રેસ પર તેમજ સુરતમાં 27 બેઠકો પર જીત મેળવનારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતાં.

સી. આર પાટીલે કહ્યું કે, અમદાવાદમાં ધાર્યું પરિણામ ન આવ્યું અને વસવસો છે. આપ પર પ્રહાર કરતાં પાટીલે કહ્યું કે, સુરતમાં આપ ઘુસી ગયું છે એનો પણ રસ્તો કાઢીશું. સુરતમાં 120 બેઠક જીતવાનો પ્રયાસ હતો પણ આપ અંદર ઘુસ્યું છે. હવે તેની સાથે કેવી રીતે પનારો લેવો તે જોઈશું. કોંગ્રેસને આપણે હરાવવા હતા, પણ હવે સુરતમાં શુ કરવું, તે અંગે જોઈશું.