ગાંધીનગરઃ રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વિવિધ રજૂઆતો બાદ આખરે રાજ્ય સરકારે તેમના ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે તલાટી કમ મંત્રીઓને દર મહિને 3000 રુપિયા ખાસ માસિક ભથ્થું આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું.


દર મહિને 900 રુપિયા ખાસ ભથ્થું મળતું હતું


સરકારે આજે બહાર પાડેલ ઠરાવ મુજબ રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે હકારાત્મક અભિગમ દાખવી માસિક ભથ્થું વધારીને 3000 સુધી કર્યું છે. વર્ષ 2012 બાદ ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે તલાટી કમ મંત્રીઓની કામગીરીમાં વધારો થયો હતો. જુના ભથ્થાના ઠરાવ મુજબ તલાટીઓને દર મહિને 900 રુપિયા ખાસ ભથ્થું મળતું હતું તે ઠારવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવા ઠરાવ મુજબ હવે 13 સપ્ટેમ્બર 2022થી આ હુકમ લાગુ પડશે અને રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને આ નિર્ણયનો લાભ મળશે. 


સરકાર સાથે તલાટી મહામંડળે સમાધાન કર્યું હતું


ઉલ્લેખનીય છે કે, રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકાર સાથે બેઠક થઈ હતી. આ રજૂઆતો માટે 22 ઓગષ્ટ 2022ના રોજ સરકાર સાથે તલાટી મહામંડળે સમાધાન કર્યું હતું. જે મુજબ રાજ્ય સરકારે તલાટી કમ મંત્રીઓના ખાસ માસિક ભથ્થું વધાર્યું છે.




ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા નિવૃત સૈનિકનું મોત થતા ખળભળાટ


ગાંધીનગર: હાલમાં રાજ્યમાં વિવિધ માગને લઈને સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકોએ પણ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેઓ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. જો કે, આ દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. દેખાવો દરમિયાન એક નિવૃત્ત જવાનનું મોત થતા ચકચાર મચી ગઈ છે. નિવૃત્ત આર્મિ જવાનની તબીયત લથડતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે મોકલાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નિવૃત જવાનનું નામ કાનજીભાઈ મોથલીયા હોવાનું સામે આવ્યું છે અને તે વિજયનગરના રહેવાસી છે.