Gandhinagar Unseasonable Rainfall Data: રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોને કેટલુ નુકસાન પહોંચ્યુ છે, અને કયા કયા પાકોને નુકસાન થયુ છે, તે અંગે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 83.80 કરોડ રૂપિયાનુ નુકસાન ખેડૂતોના પાકને થયુ છે. 


મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, આ સમયે રાજ્યમાં રવિ પાક હતો અને આ તમામ પ્રકારના  રવિ પાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના 5 હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયુ છે. રાજ્યના 1747 ગામમાં ખેતીના પાકમાં માવઠાની અસર થઇ છે. 98813 હેક્ટર જમીનની અંદરના ઉભા પાકને નુકશાન થયાનો અંદાજ છે. અંદાજિત ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુક્શાન થયાનો અંદાજ છે. આ માવઠાથી રાજ્યમાં જીરું, સવા, ઇસબગુલ, વરિયાળી, અજમો જેવા પાકમાં નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત દિવેલા કપાસ, રાય, ડાંગર, મકાઈ જેવા પાકમાં પણ નુકસાન થયાનો અંદાજ છે. 


બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક વધારો થશે.  હવામાન વિભાગે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે.  અમદાવાદ શહેરમાં 16.7 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 26 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પવનની દિશા પૂર્વ ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાય રહ્યા છે.  ગુજરાતના કચ્છ, દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે આ ઉપરાંતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   અરબી સમુદ્રમાંથી ભેજવાળા  પવન આવતા હોવાના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.


ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. નલિયામાં 11થી 14 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. જયારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 


દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરના હવામાનની વાત કરીએ તો  મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સંભાવના છે.