છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે પાટણ-વેરાવળમાં 5.67 ઇંચ, કોડીનારમાં 4.96 ઇંચ, ગીર ગઢડામાં 4.84 ઇંચ, ઉનામાં 2.60 ઇંચ અને તાલાલામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘમહેર જોવા મળી હતી. સવારે 6થી 8માં માંગરોળમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો હતો. માંગરોળ-કેશોદ રોડ પર પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

24 કલાક 11 ઈંચ વરસાદથી સુત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં વેરાવળમાં 6, કોડીનાર-ગીર ગઢડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. તે સિવાય કોળીવાડા વિસ્તારમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન થયું હતું. સરસ્વતી અને હિરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી ગીર સોમનાથમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા હતા. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા.

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 2.56 ઇંચ અને માળીયા હાટીનામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુત્રાપાડામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ

ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં તો 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.

લાંબા સમયના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.  સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં તો 11 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. બે દિવસથી વરસાદના કારણે સ્થાનિક નદી- નાળાઓમાં પણ નવા નીર આવ્યા હતા.

સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાંચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા હતા. પ્રાંચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા હતા. આ તરફ તાલાલા ગીરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગીર જંગલમાં મધરાતે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે.