ગીરસોમનાથ: બોળવા ગામે ગ્રામપંચાયતના મહિલા સદસ્ય નંદુબેનની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. ગ્રામપંચાયતના સદસ્ય શ્રમિકોને કામ પર લઇ જવાનું અને તેનો પગાર ચૂકવવાનું કામ કરતા હતા. મોડી સાંજે તે ઘરે પરત ન ફરતા. શોધખોળ શરૂ કરાઇ હતી.સીસીટીવી ફૂટેજને આધારે લોકેશન મેળવીને તપાસ કરતા તેમનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.


મહિલા ગૂમ થયા બાદ તેમના દીકરાના મોબાઇલ પર ‘મને બચાવી લો’ તેવો મેસેજ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે મૃતદેહ મળ્યાં બાદ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. નંદુબહેનને લખતાં ન હતું આવડતું તો મોબાઇલમાંથી મેસેજ કોણે કર્યો? મૃતદેહ પર છરીના તીક્ષ્ણ ઘા હતા તો આસપાસ લોહીના કોઇ નિશાન કેમ ન હતા?. મૃતકના ચપ્પલ પણ મૃતદેહથી 100 મીટર દૂર મળી આવ્યા હતા.પોલીસે મૃતદેહને કબ્જે કરીને પીએમ માટે મોકલ્યો છે અને  હત્યાની દિશામાં તપાસ કરી રહી છે.