ગાંધીનગર:  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જાહેર સમારંભો તેમજ લગ્ન પ્રસંગોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં રાજકીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ હાજર રહી શકશે. જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજરી આપી શકશે. (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ, જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. 


ઉપર મુજબના ફેરફારો સાથેના નિયંત્રણો તારીખ 12-01-2022થી 8 મહાનગરો તથા 2 શહેરો સહિત સમગ્ર રાજ્યમાં અમલી બનશે. 


રાજ્યના 8 મહાનગરો અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર, ગાંધીનગર શહેર અને બે શહેરો આણંદ અને નડીયાદમાં રાત્રિ કર્ફ્યૂ તેમજ નિયંત્રણો તથા સમગ્ર રાજ્યમાં પણ કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988,  વડોદરા   કોર્પોરેશનમાં 551,  રાજકોટ કોર્પોરેશનમાં 244,  વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136,  ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3,  જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર  1 કેસ નોંધાયા છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238  કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3  મૃત્યુ થયા. વલસાડમાં 1,  સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 38  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 623 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 10691 લોકોને પ્રથમ અને 24532 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55338 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 41611 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 129172 લોકોને અપાયો છે.  આજે કુલ 3,30,074 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,38,31,668 લોકોને રસી અપાઈ છે.