રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય ચુકવશે. 1 એપ્રિલથી 31 મે 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યુ હોય તેવા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ ખેડૂતોએ મહત્તમ 25 હજાર કિલો ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50 હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કુલ 124.36 રૂપિયા કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. જેનો રાજ્યના આશરે 90 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે. રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર 1 જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.
ગત તા 01 એપ્રિલથી 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્ધારા કુલ 124.36 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.