રાજ્યમાં કોરોના કહેરને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ બંધ છે. રાજ્ય સરકારના પ્રતિબંધોને કારણે હાલ આ તમામ વસ્તુઓ ઘણા સમયથી બંધ છે. તેવામાં રાજ્ય સરકારે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતા મહત્વનો નિર્ણય લીધો છે. 


મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.



કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.


રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમી પડી


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 695 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9955 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2122 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.98  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,93,028 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14724 પર પહોંચ્યો છે. જેમાંથી 351 દર્દી વેન્ટિલેટર પર અને 14373 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.98 ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?



અમદાવાદ કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશન 79, વડોદરા 41, રાજકોટ કોર્પોરેશન 32, જૂનાગઢ 30, સુરત 30, ગીર સોમનાથ 23, આણંદ 21, મહેસાણા 19, રાજકોટ 19, ભરુચ 18, જામનગર કોર્પોરેશન 18, નવસારી 16, અમરેલી 12, જામનગર 12, પંચમહાલ 12, જૂનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 11, સાબરકાંઠા 11, વલસાડ 10, ગાંધીનગર કોર્પોરેશન 8, ખેડા 7, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, અમદાવાદ 5, અરવલ્લી 5, બનાસકાંઠા 4, ભાવનગર 4, ભાવનગર કોર્પોરેશન 4, ગાંધીનગર 4, પાટણ 3, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, દાહોદ 1, મોરબી 1 અને નર્મદા 1 કેસ સાથે કુલ 695 કેસ નોંધાયા છે.