Gujarat farmer aid: ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદને કારણે થયેલા વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે November 9, 2025 ના રોજ "કૃષિ રાહત પેકેજ-2025" ની જાહેરાત કરી છે. આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે, જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. આ પેકેજ હેઠળ બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ ₹27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે.

Continues below advertisement

ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારે વરસાદના કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનથી ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે November 9, 2025 ના રોજ "કૃષિ રાહત પેકેજ-2025" ની જાહેરાત કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, આ પેકેજની રકમ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અને રાજ્ય બજેટમાંથી પૂરી પાડવામાં આવશે. આ રાહત મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે, જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સાબિત થશે.

સરકારે પાક નુકસાનના પ્રકારના આધારે સહાયના દરો નક્કી કર્યા છે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. બિનપિયત ખેતી પાકો માટે ₹22,000 પ્રતિ હેક્ટર (SDRF માંથી ₹8,500 અને રાજ્ય બજેટમાંથી ₹13,500) ની સહાય નક્કી કરવામાં આવી છે. વર્ષાયુ/પિયત પાકો માટે પણ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર (SDRF માંથી ₹17,000 અને રાજ્ય બજેટમાંથી ₹5,000) ની સહાય મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે સૌથી વધુ ₹27,500 પ્રતિ હેક્ટર (SDRF માંથી ₹22,500 અને રાજ્ય બજેટમાંથી ₹5,000) ની સહાય જાહેર કરવામાં આવી છે. એક મહત્ત્વની જોગવાઈ એ છે કે, જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ ₹5,000 કરતાં ઓછી થતી હોય, તો પણ તેમને ખાતાદીઠ ઓછામાં ઓછા ₹5,000 ચૂકવવામાં આવશે.

Continues below advertisement

આ જિલ્લાઓમાં સમાવિષ્ટ ગામોની કુલ સંખ્યા નીચે મુજબ છે:

વાવ-થરાદ જિલ્લો: કુલ ૨૯૮ ગામો 

પાટણ જિલ્લો: કુલ ૨૨૧ ગામો 

કચ્છ જિલ્લો: કુલ ૧૬૯ ગામો 

જુનાગઢ જિલ્લો: કુલ ૧૦૬ ગામો 

પંચમહાલ જિલ્લો: કુલ ૧૦ ગામો

પેકેજમાં વાવ-થરાદ અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે, જેનાથી શિયાળુ પાકનું વાવેતર શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા (Soil Reclamation) માટે રાજ્ય બજેટમાંથી ₹20,000 પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. આ વધારાની સહાય પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ સહાય મેળવવા માટે, ખેડૂતોએ November 1, 2025 અથવા તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવા સર્વે નંબરનો જીઓ-ટેગ ફોટોગ્રાફ DCS/કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.

આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VCE/VLE મારફત કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં, આ સેવા નિઃશુલ્ક છે. અરજી કરતી વખતે ગામ નમૂના નં. 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો (અથવા ગામ નમૂના નં. 7-12), આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. પાક નુકસાન અને જમીન સુધારણા બંને સહાય માટે ખેડૂતોએ પોર્ટલ પર અલગ-અલગ અરજી કરવાની રહેશે.

પેકેજની મુખ્ય શરતો મુજબ, આ લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહીં. સહાય ખાતા દીઠ (ગામ નમૂના નં. 8/અ દીઠ) એક જ લાભાર્થીને મળશે, અને સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારોનો "ના-વાંધા અંગેનો સંમતિ પત્ર" રજૂ કરવો ફરજિયાત છે. જોકે, વન અધિકાર પત્ર (સનદ) ધરાવતા ખેડૂત ખાતેદારો પણ આ પેકેજનો લાભ મેળવી શકશે. તમામ સહાયની ચુકવણી PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે, અને સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાએ સંકલન જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવશે. આ પેકેજમાં વાવ-થરાદ, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાના કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોને સમાવવામાં આવ્યા છે.