Mallikarjun Kharge Gujarat Visit: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. ખડગે અહીં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે. આ આ સિવાય 27 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે રાહુલ ગાંધીની મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રામાં પણ ભાગ લેશે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. અને 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે. તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં પણ પ્રચાર કર્યો હતો.


મધ્યપ્રદેશ જશે ખડગે 


બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે  27 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારત જોડો યાત્રામાં ભાગ લેશે અને એક સભાને સંબોધિત કરશે. હાલમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે, જ્યાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના ગુજરાતમાં એક અહેવાલ અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસે પ્રથમ તબક્કા માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઘણા ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં, AAP પછી, કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના 20 ટકા ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર આરોપો છે. ગુજરાતમાં કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ પાસે 31 ઉમેદવારો છે જેમાં ગુનાહિત કેસ છે. 


Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 મતદાન મથકોનું સંચાલન કરશે દિવ્યાંગ કર્મચારીઓ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. એટલું જ નહીં, બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 પોલીંગ સ્ટેશનો વિશેષરૂપે તૈયાર કરાયા છે.  રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો હશે, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો હશે, યુવા કર્મચારીઓ દ્વારા 33 પોલીંગ સ્ટેશનોનું સંચાલન થશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવાશે, તેમજ 182 મૉડેલ પોલીંગ સ્ટેશન ઊભા કરીને નવતર પહેલ કરવામાં આવી છે. 


દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન


Inclusive Elections ના મુદ્દાને ધ્યાને રાખી સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન રાજ્યના કુલ-182 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે. જેમાં રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.