બોટાદઃ ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા છે.


નારાજગી વ્યક્ત કરતા મનહર પટેલે કહ્યું હતું કે બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાને પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સાથે 2017નું પુનરાવર્તન થયુ છે જે પક્ષના વિશાળ હિતમાં નથી. આ સાથે જ મનહર પટેલે પોતાના ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. જાહેર કરેલા ઉમેદવાર રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. સાથે જ મનહર પટેલે ઉમેદવાર બદલી પોતાને ટિકિટ આપવા માંગ કરી હતી.


Gujarat Election 2022: કૉંગ્રેસની 9 ઉમેદવારની વધુ એક યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ


અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.


દેવભૂમિ દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયા, તાલાળા બેઠક પરથી માનસિંહ ડોડિયા, કોડિનાર બેઠક પરથી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઈસ્ટ બેઠક પરથી બળદેવ સોલંકી, બોટાદ બેઠક પરથી રમેશ મેર, જંબુસર બેઠક પરથી સંજય સોલંકી, ભરુચ બેઠક પરથી જયકાંત પટેલ અને ધરમપુર બેઠક પરથી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી છે. 
ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હવે 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ103  ઉમેદવારો જાહેર કરાયા છે.  



વિવાદ થતા કઈ બેઠક પર ઉમેદવાર બદલવાની કોંગ્રેસને ફરજ પડી


નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહી છે. ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધના પગલે ઉમેદવાર બદલવાની જરૂર પડી અને હવે આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખે રાજીનામું આપી દેતા ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મુઝવણમાં મુકાઈ છે. ગણદેવી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ ઉર્ફે અશોક કરાટેએ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પાર્ટીએ શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું.


વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


અશ્વિન નાયકાએ ગણદેવી વિધાનસભામાંથી 2017માં પણ ટિકિટની માંગણી કરી હતી પરંતુ એમને કોઈ કારણોસર પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહીં હતી. ફરી એકવાર 2022ની ચૂંટણીમાં અશ્વિન નાયકાએ ટિકિટની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા અન્ય એક ઉમેદવારને ટિકિટ આપી દેતા અશ્વિન નાયકા નારાજ દેખાઈ રહ્યા છે. હાલ તો એમણે પારિવારિક જવાબદારીનો હવાલો આપી અને રાજીનામું આપી દીધું છે પરંતુ એમના મુખે ચોક્કસ પાર્ટી અંગે નારાજગી દેખાઈ રહી છે. જો કે અશ્વિન નાયકાએ અન્ય કોઈ બીજી પાર્ટીમાં જોડાવાની હાલતો તૈયારી દર્શાવવી નથી પરંતુ કોંગ્રેસમાંથી ચોક્કસ એમણે સંન્યાસ લઈ લીધો છે.