ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો નક્કી કરવામાં લાગેલા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અને હાર્દિક પટેલના જૂના સાથી દિનેશ બાંભણિયાએ ધારી અને મોરબી બે બેઠકો પરથી ચૂંટણી લડવાન જાહેરાત કરી છે.


બાંભણિયાએ જાહેરાત કરી કે, આગામી દિવસોમા વિધાનસભા બેઠકોની જયાં પેટાચૂંટણી છે ત્યાં અમારી સમિતિનાં સભ્યોને અપક્ષ ઉમેદવારો તરીકે ઉભા રાખવામા આવશે અને અમે ભાજપ વિરૂદ્ધ અમે પ્રચાર કરીશું.  હુ મોરબી અને ધારી બેઠકથી પેટાચૂંટણી લડીશ. બાંભણિયાએ કહ્યું કે, શિક્ષિત બેરોજગાર સમિતિઓ દ્વારા સરકાર સામે લડવાનો નિર્ણય લેવાયો છે.

એક મહિના પહેલા ભરતી અને નિમણુંકપત્રો આપવા અગે સરકારે કરેલી જાહેરાત લોલીપૉપ સાબીત થઈ છે તેવો આક્ષેપ કરીને બાંભણિયાએ કહ્યું કે, ગુજરાતમા એસડીઆઇની ભરતીમાં 18 લોકો ને ગેરકાયદેસર નિમણુંક આપવામા આવી છે. પશુધન યુનિ મા પશુધન નિરીક્ષક ભરતી મા 62 જેટલા ખોટી ડીગ્રીવાળાની ભરતી થઈ છે. અમે ગુજરાત ગૌણ સેવા પરિષદના ચેરમેન આશિત વોરાને મળવા માંગીએ છીએ પણ તેના માટે સમય નથી આપવામાં આવતો. આ ઉપરાંત ટેટ અને ટાટા પરીક્ષાઓમાં પણ વાંધા અરજીઓ આવી છે. તેના વિરોધમાં આવતી કાલે શિક્ષિત બેરોજગાર સમિતિ મહાત્મા મર્દીર થી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા કરશે.કાર્યક્રમો ન કરવા માટે અમને ધમકીઓ આપવામા આવે છે.