અમદાવાદઃ કોરોના વાયરસના કેસ રાજ્યમાં ભલે ઘટ્યા હોય પરંતુ તેમ છતાં રાહત લેવા જેવું નથી. ચાલુ મહિને રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં 10 ટકાનો વધારો થયો છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના ૧૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૬૧૭ જ્યારે કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.


રવિવારે સુરતમાંથી સૌથી વધુ ૮, અમદાવાદ-વડોદરા-ડાંગ-નવસારીમાંથી ૨-૨ જ્યારે રાજકોટમાંથી ૧ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા હતા. અત્યારસુધી કુલ ૮,૧૫,૩૭૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% યથાવત્ છે.]


રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ


ગુજરાતમાં હાલ ૧૬૫ એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. ૩૧ ઓગસ્ટે રાજ્યમાં ૧૫૦ એક્ટિવ કેસ હતા. આમ, ૧૨ દિવસમાં એક્ટિવ  કેસમાં ૧૦%નો વધારો નોંધાયો છે. રાજ્યમાંથી સુરતમાં સૌથી વધુ ૪૭, વડોદરામાં ૪૨,  અમદાવાદમાં ૩૨ એક્ટિવ કેસ છે.


રાજ્યમાં રવિવારે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને પ્રથમ ડોઝ અને 1611 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 25466 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 21379 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 74546 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 51367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 1,74,377 ડોઝ રવિવારે અપાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,24,28,148 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,   દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર,મહેસાણા,   મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.