અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં 37 નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે રાજ્યના તમામ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 15થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.


રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ


ગુજરાતમાં હાલ 532 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર (Ventilator) પર છે. 526 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 6, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, મહેસાણામાં 3, સાબરકાંઠામાં 2, સુરેન્દ્રનગરમાં 2, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, સુરત, વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા.


ક્યાં ન નોંધાયો એક પણ કેસ


છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભાવનગર, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.


કેટલા લોકોએ લીધી રસી


કોરોનાથી કુલ મરણાંક હવે 10,075 છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 110 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,853 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.71% છે.  રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,93,41,544 પર પહોંચ્યો છે.


આ દરમિયાન આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કોરોના પોઝિટિવ દર્દીના ટીબી (ક્ષય) રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વસ્થ થયેલા તમામ ટીબી દર્દીઓનું કોરોના સ્ક્રીનિંગ કરવાની ભલામણ કરી છે.