ગાંધીનગરઃ કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. 30મી નવેમ્બર એટલે કે આજે જૂની ગાઈડ લાઈનની સમય અવધિ પુરી થઈ રહી છે. હાલ 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને સામાજિક પ્રસંગોમાં 400ની મર્યાદા નક્કી છે. નવા વેરીએન્ટ વચ્ચે નવી ગાઈડ લાઈનમાં વધુ છૂટછાટો અપાય છે કે નિયંત્રણો યથાવત રખાય છે તે થશે આજે નક્કી થશે. ગઈ કાલે ગૃહ મંત્રી અને અધિક મુખ્ય સચિવ વચ્ચે ગાઈડ લાઈનને લઈને ચર્ચા થઈ હતી. આજ સાંજ સુધીમાં કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન જાહેર થશે.


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,94,213 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ભરુચ 5, સુરત કોર્પોરેશન 4, કચ્છ 3,  ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, પંચમહાલ 1 અને સુરતમાં  1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 262  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 258 નાગરિકો સ્ટેબલ છે. 8,17,081  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 



 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 11 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1217 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12457 નાગરિકોને રસીનો પ્રથમ અને 117437 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 39612 નાગરિકોને રસીનો પ્રથમ અને 323479 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,94,213 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,05,17,518 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા,   ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ,  જામનગર, જૂનાગઢ,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,   મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી,  પાટણ, પોરબંદર,  રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,   સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી વડોદરા અને  વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.