ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં આજે કોરોનાના નવા 184  કેસ નોંધાયા છે. બીજી તરફ 112 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે મહત્વનું છે કે આજે 1 કોરોના દર્દીનું મોત થયું છે. આજે સૌથી વધું કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,775 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 43,217 ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 91 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ, સુરત શહેરમાં 16 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર શહેરમાં 2 કેસ, ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો કચ્છ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જામનગર, રાજકોટમાં 3-3 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં 2-2 કેસ અને મહેસાણા, પંચમહાલમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે. 


આજે એક દર્દીનું મોતઃ
ઘણા સમયથી રાજ્યમાં કોઈ પણ દર્દીનું કોરોના વાયરસથી મોત નથી થયું ત્યારે આજે ઘણા મહિનાઓ બાદ ફરીથી કોરોના વાયરસથી દર્દીનું મોત નોંધાયું છે. અમદાવાદ શહેરમાં આજે એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે આજે રાજ્યમાં કુલ 112 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 991 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે અને 990 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,775 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.