અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા હતા ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. અમદાવાદ સુરતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે આ બંને શહેરોમાં કેટલીક વસ્તુઓ બંધ કરવામાં આવી છે.


અમદાવાદમાં શું શું થયું બંધ


અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ થતાં AMTS અને BRTS સેવા પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં આગામી સૂચના ન અપાય ત્યાં સુધી AMTS અને BRTS ની બસ સેવા બંધ રહેશે.  જેના પગલે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.


અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.


શહેરમાં કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં બુધવારે અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રે યુ-ટર્ન લઈને શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટ પરીસર કે જેમાં ઝૂ ઉપરાંત બાલવાટીકા, નોકટરનલ ઝૂ ઉપરાંત નગીનાવાડી સહિતનો સમાવેશ થાય છે એને ૧૮ માર્ચથી કોરોના સંક્રમણને લઈ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.


સાબરમતી રીવરફ્રન્ટ સાથે સંકળાયેલા રીવરફ્રન્ટ ઉપર ચાલતી તમામ પ્રવૃત્તિઓને પણ અનિશ્ચિત સમય માટે બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રીવરફ્રન્ટ પાર્ક ઉપરાંત ઉસ્માનપુરા ગાર્ડન, ફલાવરપાર્ક, ચિલ્ડ્રન પાર્ક,બાયોડાયવર્સિટી પાર્ક ઉપરાંત રીવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ ઉપર ચાલવા જતા કે સાયકલ ચલાવવા જતા લોકો માટે પણ પાબંધી લગાવવામાં આવી છે.


સુરતમાં શું શું થયું બંધ


સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીત‌ળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.