Gujarat COVID cases today: ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં ૧૩ કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના ૨૧ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૪ પર પહોંચી ગયો છે. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાનું કેન્દ્ર
નોંધાયેલા કુલ ૩૪ કેસ પૈકી, મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર માંથી જ છે, જ્યાં ૩૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં ૧ કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ ૧ કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે.
તમામ કેસ ઓમિક્રોન વેરિયન્ટના:
રાહતની વાત એ છે કે, નોંધાયેલા તમામ ૩૪ કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. હોંગકોંગમાં દેખાયેલા નવા વેરિયન્ટનો ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, જે એક સકારાત્મક સંકેત છે.
જોકે, કેસોમાં થયેલો આ એકાએક વધારો લોકોને સાવચેતી રાખવા અને કોવિડ ૧૯ પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 નો પગપેસારો: ૧૧ રાજ્યોમાં ફેલાવો, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ
કોરોના વાયરસ ફરી એકવાર દેશ અને વિદેશમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ JN.1 ના ઘણા કેસ નોંધાયા છે, જે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.
ભારતીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ૧૯ મે સુધી અપલોડ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં કોરોનાના કુલ ૨૫૭ સક્રિય કેસ છે, જેમાંથી ૧૬૪ નવા કેસ છે. આ કેસોમાં કેરળ સૌથી આગળ છે, જ્યાં ૯૫ સક્રિય કેસ નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુમાં ૬૬ અને મહારાષ્ટ્રમાં ૫૬ કેસ જોવા મળ્યા છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશના ૧૧ રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ છે.
આ ૧૧ રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ:
- દિલ્હી
- મહારાષ્ટ્ર
- ગુજરાત
- કેરળ
- તમિલનાડુ
- હરિયાણા
- પુડુચેરી
- પશ્ચિમ બંગાળ
- સિક્કિમ
- રાજસ્થાન
- કર્ણાટક
મુંબઈમાં બે દર્દીઓના મૃત્યુ, પરંતુ...
મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલમાં તાજેતરમાં બે કોવિડ-૧૯ ચેપગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે, હોસ્પિટલ વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓના મતે, આ મૃત્યુ સીધા કોવિડ-૧૯ને કારણે થયા નથી. મૃત્યુ પામેલા બે દર્દીઓમાં એક ૧૪ વર્ષની છોકરી પણ હતી, જે ઝૂનેફ્રોટિક સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીથી પીડિત હતી.
કોરોનાના JN.1 પ્રકારના સામાન્ય લક્ષણો:
JN.1 પ્રકારના સામાન્ય લક્ષણોમાં તાવ, ખાંસી, સૂકું ગળું, માથાનો દુખાવો, થાક, સ્નાયુઓમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઉબકા કે ઝાડા, અને જઠરાંત્રિય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
JN.1 પ્રકારથી પોતાને કેવી રીતે બચાવશો?
નિષ્ણાતો હાલમાં ગભરાવાની જરૂર નથી કહી રહ્યા, પરંતુ સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. નીચેના પગલાં અપનાવીને તમે પોતાને સુરક્ષિત રાખી શકો છો:
- ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો.
- હાથની સ્વચ્છતા જાળવો.
- સામાજિક અંતર જાળવો.
- જો લક્ષણો દેખાય, તો COVID-19 ટેસ્ટ કરાવો અને પોતાને અલગ રાખો.
- મેક્સ હેલ્થકેરના ગ્રુપ મેડિકલ ડિરેક્ટર ડો. સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યું કે જો ચેપ વધે છે, તો અધિકારીઓએ માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવવા જેવા આરોગ્ય પગલાં ફરી અમલમાં મૂકવા જોઈએ.