રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ વડાએ સ્પષ્ટતા કરી કે, પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે તેમ છતાં જો આ દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકઠા થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. પાન, મસાલા અને ગુટખા વેચનારા તથા લેનારા બંને સામે કેસ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને લોકો દ્વારા બીજા વિસ્તારોમાં જઈને કરાતા લોકડાઉનના ભંગની વિગતો ધ્યાનમાં આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.