Gujarat Election 2022 Live Updates: દસાડાના ભાજપના ઉમેદવારે મતદારોને ધમકાવ્યા, કહ્યુ- ‘અમે રાજનીતિમાં છીએ, ભજન મંડળી નથી ચાલતી’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને માત્ર ત્રણ દિવસ બાકી છે

gujarati.abplive.com Last Updated: 28 Nov 2022 11:01 AM
ભાજપના ઉમેદવાર મતદારોને પરોક્ષ રીતે ધમકાવી રહ્યા છે.

દસાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પી.કે પરમારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મતદારોને પરોક્ષ રીતે ધમકાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ગયેલ પી.કે પરમારને ગામના લોકોએ સમસ્યાની રજૂઆત કરતા ઉમેદવારે મતદારોને રોકડું પરખાવ્યું હતું અને  કહ્યું કમળ ઓછા અને પંજા વધારે નીકળે તો પછી તમે ભાજપ પાસે આશા રાખો? પહેલા બેલેટ પેપર હોય તો ખબર ન પડે હવે તો મશીન આવી ગયા ખબર પડી જાય. અમે રાજનીતિમાં છીએ ભજન મંડળી નથી ચાલતી. Abp અસ્મિતા વીડિયોની પુષ્ટી કરતું નથી. 

વડાપ્રધાન મોદીએ આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલા સુરતમાં બેઠક કરી હતી

વડાપ્રધાન મોદીએ આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલા સુરતમાં બેઠક કરી હતી. સર્કિટ હાઉસમાં પીએમ મોદી અને સી.આર પાટીલની બેઠક મળી હતી. તો ગઇકાલે મોડીરાત સુધી સીઆર પાટીલ અનેક હર્ષ સંઘવીની પીએમ સાથે બેઠક થઈ હતી. તો ગઈકાલે સભા સ્થળે 40 ઉદ્યોગકારો સાથે 15 મીનિટ બેઠક થઈ હતી.

વિક્ટર ખાડી પર પુલને લઇને રાજનીતિ ગરમાઇ

સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજુલા બેઠકમાં આવતા ચાંચ બંદર ગામના 350 મીટરના પુલને લઈ રાજકારણ ગરમાયું છે. વિકટર ખાડી પર બનાવવાના પુલને રામસેતુ સાથે સરખાવી અમરીશ ડેરે ભાજપ અને હીરાભાઈ સોલંકી પર આરોપ લગાવ્યા હતા. તો હીરાભાઈ સોલંકીએ પણ અમરીશ ડેર પર પલટવાર કર્યો હતો. વિક્ટરથી ચાંચ ગામ દરિયામાં તરીને ધારાસભ્ય અમરીશ ડેર ગયા...આ બાબતને ભાજપના ઉમેદવાર અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ નાટક ગણાવ્યું હતું. મતદાનને ગણતરીના દિવસો બાકી હોવાથી નાટક કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. અમરીશ ડેરે આ બાબતને પુલ બનાવવા માટે અનુષ્ઠાન ગણાવી છે અને સરકાર અછૂત જેવું વર્તન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુ એક નેતાએ મંદિર અને મસ્જિદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વધુ એક નેતાએ મંદિર અને મસ્જિદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપ પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કહી રહ્યા છે કે જેને મંદિર બનાવવું હોય તે ભાજપમા રહે અને જેને મસ્જિદ બનાવવુ હોય તે કોંગ્રેસમાં જાય. ભાજપ ઉમેદવાર ડો.રાજૂલ દેસાઇની ચૂંટણીસભામાં વિવાદીત નિવેદન કર્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

કચ્છઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને માત્ર ત્રણ દિવસ બાકી છે. વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. ત્યારે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક સૌથી મોટો ઉલટફેર થયો હતો. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. સાથે જ તેમને એક વીડિયો પણ જાહેર કર્યો છે.જેમાં તે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું અને અબડાસા હિતમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આમ મતદાનના થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.


કાલે વડાપ્રધાનની હાજરીમાં ભાજપને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અબડાસાના નીરદલ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને સમર્થન આપશે. આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા હવે અપક્ષ ઉમેદવાર મજબૂત થયો છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અપક્ષ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને વોટ આપવા અપીલ કરી છે. હકૂમત સિંહ જાડેજાનું અબડાસામાં વર્ચસ્વ રહેલુ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.