Gujarat Election 2022: ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજે એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.




ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પત્ની રીવાબા જાડેજા માટે માંગ્યા મત


જામનગરઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા જાડેજા માટે મત માંગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી.


નોંધનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.






રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. તો ચાલો કાલે સવારે મળીએ.


નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી, ત્યારબાદ તેના જમણા ઘૂંટણની સર્જરી થઈ હતી. જાડેજાને બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે ફિટનેસ પરત મેળવ્યા બાદ જ ભાગ લઈ શકશે.


વઢવાણ બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર

વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલતાં બ્રહ્મસમાજ અને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપતા રોષ ફેલાયો હતો. બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મસમાજ તેમજ જૈન સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી.

ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલવામાં આવતા આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આગામી દિવસોમાં ભાજપમાંથી હોદેદારોના રાજીનામા પડવાની શક્યતાઓ છે.