છોટાઉદેપુર: ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરનાં યુવા નેતા રાધિકા રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાધિકાએ પોતાના રાજીનામાની જાહેરાત ફેસબુક પર કરી છે. છોટા ઉદેપુરના ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ સ્વ.અમરસિંહ રાઠવાની પુત્રી રાધિકા કવાંટ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની ચેરમેન અને પ્રદેશ મંત્રી હતી.


રાધિકા રાઠવા ક્વાંટ તાસુકા પંચાયતની ખરમાદા બેઠક પરથી જીતી હતી. રાધિકા રાઠવાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં છોટા ઉદેપુરની આથાડુંગરી બેઠકની ટિકિટ માંગી હતી. જો કે કોંગ્રેસ દ્વારા ટિકિટ ના અપાતાં અને સ્થાનિક કોંગી નેતાઓ દ્વારા અવગણના કરાતા રાજીનામું આપ્યું છે. છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં મહિલા પાંખની એકમાત્ર મજબૂત નેતા ગણાતાં રાધિકા રાઠવાએ આક્ષેપ કર્યો છે કે, છોટા ઉદેપુરમાં કોંગ્રેસ કેટલાક પરિવારોની જાગીર બની ગઈ છે. યુવા તથા શિક્ષિત લોકોની અવગણના કરાય છે. કોંગ્રેસમાં મારા જેવી શિક્ષિત યુવાને બોલવાની તક નથી ને વારંવાર અપમાનિત કરાય છે તેથી પક્ષ છોડી રહી છું. હું હવે રાજકારણના બદલે સામાજિક સેવા તરફ ધ્યાન આપીશ.

રાધિકાએ કોંગ્રેસના સીનિયર નેતા મોહનસિંહ રાઠવા પર આડકતરા પ્રહાર કર્યા છે. રાધિકાના પિતા અમરસિંહ વસાવા સતત ત્રણ વાર કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભામાં ચૂંટાયા હતા. રોડ અકસ્માતમાં શંકાસ્પદ સંજોગોમાં તેમનું મોત થયું હતું.