Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી એ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે
તો બીજી તરફ રાજ્યના ખેડૂતો માટે પણ વધુ એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને વિનંતિ છે.