ગરબાના શોખીનો માટે નિરાશાના સમાચારઃ જાણો રૂપાણી સરકારે નવરાત્રિ અંગે લીધો શું મોટો નિર્ણય ? શાને આપી મંજૂરી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2020 11:13 AM (IST)
ગયા અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે.
(ફાઈલ તસવીર)
ગાંધીનગરઃ ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતની વિજય રૂપાણી સરકારે નવરાત્રિને આયોજન અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે લીધેલા નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થળે ગરબાનાં જાહેર આયોજન કરી શકાશે નહી. પાર્ટી પ્લોટમાં તો આયોજન કરી જ નહીં શકાય પણ શેરી ગરબા પણ નહીં યોજી શકાય. નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય તથા પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે. આ ઉપરાંત 20થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજગરબી અને મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતીનો કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર કરેલી એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે. ગયા અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું હતું ને લોકોને લાગેલું કે પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે પણ હવે સકરકારે કોઈ પણ પ્રકારના ગરબાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે.