ગાંઘીનગર:  રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government)એક મહત્વનો નિર્ણય કર્યો છે.  રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર (5 એપ્રિલ) થી  અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.  જો કે, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓ નો અમલ કરવાનો આદેશ અપાયો છે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. આ  નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 8 મહાનગરોમાં તો શાળાઓ બંધ જ હતી.

 

ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયાયેલા કેસ

તારીખ

નોંધાયેલા કેસ

મોત

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 16,428

60

 

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

 

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા.  રાજ્યમાં શુક્રવારે  2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21  ટકા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના વધુ એક ગામમાં લગાવી દેવાયું લોકડાઉન, જાણો કેટલા દિવસ ગામ રહેશે બંધ?