અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ મામલે આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોરોના મામલે કોઈ આગાહી સાચી સાબિત થઈ નથી. આપણા રાજ્યમાં કેસ ઘટી રહ્યા છે. આ ટ્રેન્ડ ઘટતો જઈ રહ્યો છે. મોતના આંકડા અંગે અમને અંદાજ હતો. કેસ એકટિવ થતા દર્દીઓ મોડા ભરતી થયા હોય તેવા સંજોગોમાં મોત વધતા હોવાનું અનુમાન છે. એવરેજ દસ દિવસમાં 27-28 નો મોતનો આંકડો નોંધાયો છે.


કોર્ટમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢવા મુદ્દે આરોગ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોરોના કેસ અને મોતની ગાઈડલાઈન હતી તે અંગે વાત કરાઈ છે. હાલ કોઈ વિરોધાભાસ નથી. સુપ્રીમ કોર્ટના તારણ અને અવલોકન માટે ગુજરાત સરકાર તૈયાર છે.


કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કોરોના સહાય મુદ્દે મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો હતો કે ટેકનિકલ કારણોસર અરજીઓ નામંજૂર થવી જોઇએ નહીં. મહારાષ્ટ્ર સરકારનો પણ સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો. વેલ્ફેર સ્ટેટ તરીકે વળતર આપવાની સરકારની જવાબદારી છે. મૃતકોને સાંત્વના મળે એ રીતે સરકાર કામગીરી કરે છે. રાજ્ય સરકારોના ઢીલા વલણ સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વધી છે. ગુજરાત રાજ્યના આંકડા પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.  કોર્ટે કહ્યું કે  માત્ર સ્ટેટ્સટિક્સ નહિ પૂરતી વિગતો સરકાર રજૂ કરે.  મૃતકોના નામ, સરનામાં મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા કોર્ટે  આદેશ આપ્યો છે.  આ તમામ વિગતો રાજ્ય સરકારો તેમના રાજ્યની લીગલ સર્વિસીસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીને પૂરી પાડે છે.


ગુજરાતમા સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી છે. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજૂર કરી છે. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.


રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા, અરજીઓ મંજુર કરી. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.