નવી દિલ્હીઃ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31મી તારીખથી કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.




ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાઓમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યોના કલેકટરોએ પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓની રજા કેન્સલ કરી દીધી છે. રાજ્યમાં ભારે વરસાદ વરસવાનો હોવાથી સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં NDRFની 10 ટીમ ખડેપગે રાખવામાં આવી છે.



હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.

ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં NDRFની 3-3 ટીમ, દાહોદ ખાતે NDRFની 1, વલસાડ, નવસારી અને સુરતમાં NDRFની 1- 1 ટીમ, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં NDRFની 1-1 ટીમ અને ઉ. ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. 31 જૂલાઈ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.