અમદાવાદ: બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 4 ગણું વળતર આપવાની અરજીને ફગાવી દીધી છે. આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો છે. તેમજ વળતરનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટે ખુલ્લો રાખ્યો છે.




ખેડૂતોની માંગ હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં. હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડાયરેકટર મુજબ, ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં 2600 જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે.