ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. 86 વર્ષીય આસારામ હૃદય રોગથી પીડાય છે. આસારામના પક્ષે દલીલ કરી હતી કે જોધપુર કોર્ટે આસારામને છ મહિનાના જામીન આપ્યા છે કારણ કે તેઓ હૃદય રોગથી પીડાય છે. આસારામ 86 વર્ષના છે અને તેમને તબીબી સારવારનો અધિકાર છે. જો અપીલની સુનાવણી છ મહિનાની અંદર પૂર્ણ ન થાય, તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.
જોધપુર હાઈકોર્ટનો નિર્ણય
કોર્ટે જણાવ્યું હતું કે જોધપુર હાઈકોર્ટે આસારામની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા હતા, તેથી ગુજરાત હાઈકોર્ટ અલગ વલણ અપનાવી શકે નહીં. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે છે તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે.
સરકારે જણાવ્યું હતું કે જો જોધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓનો અભાવ હોય તો તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે.
પીડિતાના વકીલનો પક્ષ
પીડિતના વકીલની દલીલ છે કે આવી પરિસ્થિતિઓમાં પણ, આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર અને અન્ય સ્થળોએ મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે ક્યારેય હોસ્પિટલમાં લાંબા ગાળાની સારવાર લીધી નથી. તેઓ ઋષિકેશથી મહારાષ્ટ્ર ગયા છે. તેઓ જોધપુરમાં આયુર્વેદિક સારવાર મેળવતા રહે છે અને તેમને કોઈ ફરિયાદ નથી. પીડિતા પક્ષના વકીલે દલીલ કરી હતી કે આસારામની તબિયત ખરાબ હોવાની દલીલ હવે શંકાસ્પદ છે.
આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજસ્થાનની જોધપુર કોર્ટે 25 એપ્રિલ, 2018 ના રોજ એક સગીર છોકરી પર બળાત્કાર અને જાતીય શોષણના દોષી સાબિત થયા બાદ આ સજા ફટકારી હતી. તેમને ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં છે.
સુરતની મહિલાએ આસારામ સામે 2013માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. કેસ ગાંધીનગર કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ 2023માં કોર્ટએ તેમને દોષિત ઠેરવ્યા હતા. ગુરુપૂર્ણિમા પૂર્વે આસારામે મહિલાને વક્તા તરીકે બોલાવ્યા હતા અને શાંતિ વાટિકા ફાર્મહાઉસ ખાતે બોલાવી અડપલાં કર્યા હતા.