અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસે છ મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. શનિવારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર ધાર્મિક માલવિયાને ટિકિટ આપી હતી. ધાર્મિક માલવિયાએ શનિવારે સવારે પોતાને ટિકિટ મળી હોવાથી ઉમેદવારી નોંધાવશે એવી જાહેરાત કરી હતી. જો કે તેણે છેલ્લી ઘડીએ નાટક કરીને જાહેરાત કરી હતી કે, પોતે ઉમેદવારી ફોર્મ નહી ભરે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જાહેર કર્યું કે, સુરતમાં વોર્ડ નંબર 17માં જે પ્રમાણે ટિકિટ માંગી હતી તે પ્રમાણે આપવામાં આવી નથી  તેના કારણે પોતે પોતાનું ફોર્મ ભરશે નહીં.


હાર્દિક પટેલના સાથીઓએ કોંગ્રેસ સામે બળવો કરવા  દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કોગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અહંકારી ભાજપને સબક શીખવાડીએ, કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતથી જીતાડીએ. તેણે કોગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવીને લખ્યું.  જંગી બહુમતીથી વિજયી થઈ પ્રજાના કાર્યોમાં જોડાવ અને જનતાની સુખાકારી માટે કાર્યરત રહો એવી શુભેચ્છાઓ.



6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.