Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાને લઇ મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટ્ટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર એકસાથે ચાર વાતાવરણીય સિસ્ટમ્સ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના સંયુક્ત પ્રભાવ હેઠળ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે ધીમીધારે કે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ચાલુ મોસમમાં 1 જૂનથી લઈને 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 20 ઈંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સીઝનના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ પણ 4 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ નવી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં આ ઘટ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
આગામી એક સપ્તાહ દરમિયાન નીચાણવાળા અને સામાન્ય વરસાદ ધરાવતા વિસ્તારોમાં મેઘમહેર થવાથી વરસાદી ઘટ ઘટે તેવી સંભાવના છે. આ વરસાદી સિસ્ટમ્સના આગમનથી રાજ્યમાં ચાલી રહેલી વરસાદની ખેંચ દૂર થશે અને ખેડૂતોના ઊભા પાકને મોટો જીવનદાન મળશે. હવામાન વિભાગે લોકોને વાતાવરણના પલટા સામે સાવચેત રહેવા સલાહ આપી છે.
હાલ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના 24 જેટલા તાલુકાઓમાં વરસાદી ખેંચને કારણે વર્ષ 2018 જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વર્ષ 2018માં પણ ચોમાસા દરમિયાન માત્ર 76 ટકા વરસાદ નોંધાયો હતો, જેણે ખેતી ક્ષેત્રે મોટો ફટકો માર્યો હતો. જો આગામી સમયમાં ચોમાસાની વિદાય પહેલાં સિઝનનો બાકીનો વરસાદ નહીં વરસે તો ન માત્ર ખેડૂતો અને પશુપાલકો, પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર પર તેની ગંભીર વિપરીત અસરો પડી શકે છે. પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન અને કટોકટીની યોજનાઓ ઘડી કાઢવી અત્યંત જરૂરી બની ગઈ છે.
