અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઈમેજ સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને બિનવિવાદાસ્પદ વ્યક્તિ તરીકેની છે. ભૂપેન્દ્ર પટેલની નજીકનાં સૂત્રો તેમને પ્રેમથી ‘દાદા’ કહીને સંબોધે છે.


ભૂપેન્દ્ર પટેલની નજીકનાં સૂત્રોના મતે, ભૂપેન્દ્ર પટેલ ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિ છે અને ભૂપેન્દ્રભાઇ રોજ સવારે એક કલાક પૂજા કરે છે. ભૂપેન્દ્ર ભાઈને હિંદુ ધર્મમાં આસ્થા છે એ કહેવાની જરૂર નથી પણ એ પોતે ‘દાદા ભગવાન’ના અનુયાયી છે.  


‘અક્રમ વિજ્ઞાન ચળવળ’ના પ્રણેતા દાદા ભગવાનમાં લાંબા સમયથી શ્રધ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ ધાર્મિક છે અને નીતિમત્તાના રસ્તે ચાલવામાં માને છે એવું તેમની સાથે લાંબા સમયથી કામ કરનારાં લોકોનું કહેવું છે. તેમના પિતા શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને અમદાવાદ પોલિટેક્નિકમાં પ્રિન્સિપાલ હતા. તેના કારણે પણ ભૂપેન્દ્ર પટેલને નીતિમત્તાનો વારસો મળ્યો છે.


અમદાવાદ દરિયાપુરમાં ભૂપેન્દ્રભાઈનો જન્મ અને ઉછેર થયો છે. યુવાવસ્થામાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ભૂપેન્દ્રભાઇએ ગાંધીરોડ પરથી હોલસેલમાં મળતા ફટાકડા લાવીને દરિયાપુરની ધતુરાની પોળમાં ધંધો પણ કર્યો છે. એ પછી તેમણે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ‘


સિવિલ એન્જિનિયરિંગ ભણનારા ભૂપેન્દ્રભાઇ 1988થી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. એક દાયકામાં તેમણે નાના નાના પ્લેટ બનાવીને સારી કમાણી કરી હતી.  2000ની સાલ સુધી ભૂપેન્દ્ર પટેલ ફ્લેટની સ્કીમો બનાવીને આર્થિક રીતે સ્થિર થયા હતા પણ 2001માં ભૂકંપ આવ્યા પછી લોકોમાં ગભરાટ હતો. એ વખતે લોકો ફ્લેટ લેવાથી દૂર ભાગવા માંડ્યા હતા તેથી ભૂપેન્દ્ર પટેલને પણ તેની અસર થઈ હતી. તેમના તૈયાર ફ્લેટો ન વેચાતાં તેમણે પોતાના બિઝનેસને ફરી ગાડી પાટા પર લાવવા માટે એક દાયકા સુધી મહેનત કરવી પડી હતી. 2010માં ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર બન્યા ત્યાં સુધીમાં તેમની ગાડી પાટા પર આવી ગઈ હતી. 


ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.


 


ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા


 


55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.


 


ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે









 


 


ભૂપેન્દ્ર પટેલ એક મૃદુભાષી કાર્યકર તરીકે જાણીતા છે, જેમણે રાજ્યના રાજકારણમાં મ્યુનિસિપલ કક્ષાના નેતાથી લઈને ઉચ્ચ પદ સુધીની સફર કરી છે. પટેલે 2017માં પ્રથમ વખત રાજ્યની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતા, જે તે ચૂંટણીમાં એક રેકોર્ડ છે. પટેલ તેમના સમર્થકોમાં પ્રેમથી 'દાદા' તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે. તેઓ જે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે.


 


ભૂપેન્દ્ર સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા


 


પટેલ 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા. આ પહેલા તેઓ 2010 થી 2015 સુધી ગુજરાતની સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલ વિધાનસભા ચૂંટણી લડતા પહેલા સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા અને અમદાવાદ જિલ્લાની મેમનગર પાલિકાના સભ્ય હતા અને બે વખત તેના પ્રમુખ બન્યા હતા. તેઓ પાટીદાર સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટે સમર્પિત સંસ્થા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે.