Gujarat new e challan rules 2026: વાહનચાલકો માટે એક મોટા અને મહત્વના સમાચાર છે. ટ્રાફિક સિસ્ટમને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી, ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી રાજ્યભરમાં 'ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' લાગુ કરી દીધી છે. આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાહનચાલકોને તેમના ચલણ અંગે સમયસર જાણકારી મળે, ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય અને જો કોઈ વાહનચાલકને ચલણ ખોટી રીતે અપાયું હોય તો તેને ન્યાય મળી શકે.
શું છે આખી પ્રક્રિયા અને ફરિયાદ કરવાની રીત?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ આ નવી સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, હવેથી જ્યારે પણ ટ્રાફિક સંબંધિત ઈ-ચલણ જનરેટ થશે, ત્યારે વાહનમાલિક પાસે દંડ ભરવા માટે 45 દિવસનો સમય રહેશે. જો તમને એમ લાગે કે તમારું ચલણ ખોટી રીતે કપાયું છે, તો તમે આ 45 દિવસની અંદર જ પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ એટલે કે વાંધો ઉઠાવી શકશો.
ફરિયાદ નોંધાવવા માટે તમારે પરિવહન પોર્ટલ પર જઈને સૌથી પહેલા તમારો ચાલુ મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે, જેથી ચલણ અને ફરિયાદના સ્ટેટસ વિશેના તમામ અપડેટ્સ તમને સીધા SMS દ્વારા મળતા રહે. ત્યારબાદ, તમારું ચલણ ખોટું હોવા અંગેના જે કંઈ પણ દસ્તાવેજી પુરાવા તમારી પાસે હોય, તે પોર્ટલ પર અપલોડ કરીને તમારે ફરિયાદ સબમિટ કરવાની રહેશે.
30 દિવસમાં થશે ફરિયાદનો નિકાલ
તમારી ઓનલાઇન ફરિયાદ મળ્યા પછી, પોલીસ વિભાગ દ્વારા તે પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પોલીસને 30 દિવસનો સમય આપવામાં આવશે. સીધી રીતે સમજીએ તો, ચલણ જનરેટ થાય ત્યારથી લઈને ફરિયાદના નિકાલ સુધીની આખી પ્રોસેસ વધુમાં વધુ 75 દિવસમાં પૂરી થઈ જશે.
વાહનચાલકોની ફરિયાદોનું યોગ્ય, તટસ્થ અને ઝડપી નિરાકરણ આવે તે માટે દરેક જિલ્લા કક્ષાએ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ DySP કક્ષાના અધિકારીઓ કરશે, જ્યારે તેમની સીધી દેખરેખ હેઠળ PI કક્ષાના અધિકારીઓ વાહનચાલકે આપેલા પુરાવાઓ તપાસીને 30 દિવસની અંદર પોતાનો આખરી નિર્ણય સંભળાવશે.
જો દંડ ન ભર્યો તો શું થશે?
જો તપાસના અંતે તમારું ચલણ યોગ્ય ઠરે છે, તો તમારે દંડ ભરવો જ પડશે. પરંતુ, જો તમે 75 દિવસની મહત્તમ મુદત વીતી ગયા પછી પણ દંડની રકમ નહીં ભરો, તો તમારે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. 75 દિવસ પછી પરિવહન પોર્ટલ પર તે વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન (RC) ને લગતી તમામ સેવાઓ તાત્કાલિક ધોરણે બ્લોક એટલે કે સ્થગિત કરી દેવામાં આવશે.
કોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ
ઘણીવાર એવું બની શકે કે પોલીસ વિભાગે કરેલા ફરિયાદના નિકાલથી વાહનમાલિક સંતુષ્ટ ન હોય. જો આવી સ્થિતિ સર્જાય અને તમે આ મામલો કોર્ટમાં લઈ જવા માંગતા હોવ, તો તેની પણ વ્યવસ્થા છે. જોકે, કોર્ટમાં કેસ કરતા પહેલા તમારે દંડની કુલ રકમના 50 ટકા નાણાં જમા કરાવવા પડશે, ત્યારબાદ જ તમે કોર્ટમાં અપીલ કરી શકશો.
