VISAVADAR By Poll News: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, આજે રાજ્યના બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે. આમાં સૌથી ચર્ચિત અને ખાસ ગણાતી વિસાવદર બેઠકને લઇને રોચક રેસ જામી છે. છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી 19 જૂનના રોજ ચૂંટમી યોજાશે, જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. આ વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે. હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જાણો વિસાવદર બેઠક પર અત્યાર સુધી શું-શું ઘટનાક્રમ ઘટ્યો...

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી - રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિસાવદર બેઠક ખુબ જ ચર્ચામાં રહી છે. એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ આ વાતનો આજે અંત આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ ચૂંટણી પરિણામ બાદ વિજેતા થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ગેરરીતી કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, તે પ્રકારની ચૂંટણી પીટીશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી હતી. આ પીટીશનને હર્ષદ રીબડીયાએ પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. આ પહેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચવાની અરજી રાજ્યની વડી અદાલતમાં કરી હતી, જેમાં સુનાવણી પૂર્ણ થતા હાઇકોર્ટે ચૂંટણી પીટીશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો હતો.

2022માં ભૂપત ભાયાણી બન્યા હતા ધારાસભ્યવર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઈ વાળદોરીયા વચ્ચે ચૂંટણી જંગ જામી હતી.

ચૂંટણી પરિણામોમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારબાદ 13 ડિસેમ્બર 2022ના દિવસે ભૂપત ભાયાણીએ આપ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા - વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટી માંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.

ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ વિસાવદર વિધાનસભા બેઠકને લઈને ન થાય તો ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા પ્રબળ બની રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપને કારણે ઘણી બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન થયું હતું, જે પૈકીની એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે.